નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનને સફળતા નવસારી, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લામાં શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવાના હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયો હતો. નાણા અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અભિયાનની કામગીરી રજૂ કરવામાં આવી હતી. છેલ્લા ચારથી પાંચ મહિનામાં જિલ્લા તંત્ર અને શિક્ષણ વિભાગના સંકલિત પ્રયાસોથી ૪,૦૭૩ બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો છે. ઉપરાંત ૧,૨૦૦થી વધુ યુવાનોને ITI અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં જોડવામાં આવ્યા છે. મંત્રીશ્રીઓએ બાળકોના શિક્ષણમાં પરિવાર, શિક્ષકો અને સમાજની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી હતી. બાકી રહેલા ડ્રોપઆઉટ બાળકો સુધી પહોંચવા ઘર-ઘર સંપર્ક અને વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. કાર્યક્રમ દરમિયાન પુનઃપ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગ તથા અભિયાનમાં કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શામળા ફળિયા, ખેરગામના સામાજિક અગ્રણી આગેવાનશ્રી બાબુભાઈ દેવજીભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સ્વાતંત્ર્ય સંગ્રામના વિવિધ પાસાઓ અંગે ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પ્રવચનો રજૂ કર્યા હતા. આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાળકોના દેશભક્તિપૂર્ણ વક્તવ્યોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર અને વાલીઓએ બાળકોના ઉત્સાહ અને રજૂઆતને બિરદાવી હતી. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવન...