દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્ઠ દૃષ્ટાંત

SB KHERGAM
0

 


દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્ઠ દૃષ્ટાંત.

સતત સાત વર્ષ સુધી શિક્ષક તરીકે પુરા ખંતથી નોકરી કરી છેવટે ૨૦૨૧માં પાણીચું મળતાં દાનહના આદિવાસી શ્રમજીવી પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી આફતની સ્થિતિનું થયેલું નિર્માણઃ 

હિંમત હાર્યા વગર હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ ધર્મેશભાઈ ભોયાએ સ્વાવલંબી બનવા પોતાના જ્ઞાનનો શરૂ કર્યો ઉપયોગ.

આજે સમસ્ત દાદરા નગર હવેલીના આત્મનિર્ભર બનવા થનગનતા યુવાનો માટે પ્રેરણાસ્રોત અને એમ્બેસેડર બની ચુક્યા છે.

"જ્યાં ચાહ  ત્યાં રાહ હોય'' એ ઉક્તિને દાદરા નગર હવેલીના કલા ગામ પાસે પટેલપાડાના રહેવાસી શ્રી ધર્મેશભાઈ ભોયાએ અક્ષરશઃ સાચી સાબિત કરી છે. દાદરા નગર હવેલી પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૧૪માં પ્રાથમિક શિક્ષક તરીકે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થયેલા શ્રી ધર્મેશભાઈ  ભોયાને પ્રશાસનના એક આદેશથી ૨૦૨૧માં છૂટો કરાતા તેમના માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સાત સાત વરસ સુધી ખંતથી નોકરી કરી છેવટે પાણીચું મળતાં પોતાના માતા-પિતાએ રાત-દિવસ કાળી મજૂરી કરી બી.એડ. સુધીના કરાવેલા અભ્યાસ ઉપર પાણી ફરી વળ્યું હોવાનું દેખાવા લાગ્યું હતું.

 કારણ કે, શ્રી ધર્મેશભાઈ ભોયા પરિવારના એક માત્ર શિક્ષિત અને કમાનાર વ્યક્તિ હતા. અચાનક આવેલી આફતથી નાસીપાસ થયા વગર શ્રી ધર્મેશભાઈ  ભોયાએ હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ પોતાના શિક્ષણનો ઉપયોગ ધંધા માટે શરૂ કર્યા. શરૂઆતમાં થોડીઘણી નિષ્ફળતા-સફળતા મળતી ગઈ. પરંતુ હિંમત હાર્યા વગર પોતાના અંગત મિત્રો અને વિડિલોની પ્રેરણાથી તેમણે દાદરા નગર હવેલી ખાતે વિવિધ જગ્યાએ સપ્તાહના સાતેય દિવસ ભરાતા હાટ-બજારમાં રેડીમેડ કપડાંના વેચાણના ધંધાની શરૂઆત કરી. 

ધીરે ધીરે આ ધંધામાં ફાવટ પણ આવતી ગઈ અને કોલેજના શ્રી મેળવેલા શિક્ષણના અનુભવથી બેસ્ટ સેલ્સમેન તરીકે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી આજે શ્રી  ધર્મેશભાઈ ભોયા હજારો યુવાનોના પથદર્શક બન્યા છે. શ્રી ધર્મેશભાઈ ભોયાએ પોતાની જીંદગીમાં આવેલી તકલીફ અને સમસ્યા સાથે સમજૂતિ નહી કરી, પરંતુ દરેક પરિસ્થિતિનું સમાધાન કાઢવા માટે તેમણે પોતાના સ્વરોજગારનો રસ્તો શોધી લીધો.

આજે દાદરા નગર હવેલીમાં ધર્મેશભાઈ ભોયા આત્મનિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની ચુક્યા છે. કારણ દાદરા નગર હવેલીમાં શિક્ષક સહિતના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરાતા સેંકડો કર્મીઓને છૂટા કરાયા છે. જે પૈકીના કેટલાક જીવનથી કંટાળીને ન કરવાનું કરી બેઠા છે. તે તમામ માટે શ્રી ધર્મેશભાઈ ભોયા એક પ્રેરણારુપ બન્યા છે. 

તેઓ જણાવે છે કે, જીવનમાં ક્યારેય પણ હતાશ થવું નહીં અને એક બારી બંધ થાય તો ભગવાન બીજી ૧૦ બારીઓ ખોલી દેતો હોય છે. ફક્ત બારીની ઓળખ કરતાં આવડવું જોઈએ. પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ બની ચૂકેલા શિક્ષક શ્રી ધર્મેશભાઈ ભોયાની બેમિસાલ અને પ્રેરણાદાયી કહાણી બીજા અનેક યુવાનો માટે ફક્ત માર્ગદર્શક નહીં પરંતુ તેમના માટે જીવનરક્ષક પણ બની રહેશે.

( વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૬

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top